Showing posts with label ચિંતન. Show all posts
Showing posts with label ચિંતન. Show all posts

Friday, April 27, 2012

તાંત્રિક માં-બાપ

શિક્ષણ તંત્ર અને શાળાઓ બાળકોને સમજવામાં, ‘સાચું’ શિક્ષણ આપવામાં, બાળકોની સર્જનાત્મકતાને પોષવામાં નિષ્ફળ ગયાં છે એમ અવારનવાર જાહેર કરવામાં આવે છે. સરકારી શાળામાં શિક્ષક તરીકેના વ્યવસાયિક અનુભવ થકી અને સમાજના એક સભ્ય તરીકે મારું એક મંતવ્ય ઘડાયું છે અને તે છે કે બાળક સંબંધી ઉપરોક્ત ભૂલોની દોષગ્રંથિથી પોતાને બચાવવા માં-બાપ અને સમાજ આ રાગ આલાપ્યા કરે છે. હકીકતે, બાળ ઉછેરમાં માં-બાપ નિષ્ફળ પુરવાર થયા છે.
માં-બાપ પર આ ‘આરોપ’ મૂકી શિક્ષણ તંત્ર કે શાળાઓની ભૂલો છાવરવાનો અહીં ઈરાદો નથી. એ આગવી સમસ્યા છે જે પણ ઉકેલવી રહી. પણ, તંત્ર કે શાળા પહેલાં બાળક માં-બાપ પાસે છે, તો બહારની સંસ્થાઓ ઉપર દોષારોપણ કરનારાઓએ પોતે કયા ઉપાયો અમલમાં મુક્યા? પોતાના બાળકના પ્રફુલ્લન માટે તેમણે પોતાની કક્ષાએ કયા પ્રયત્નો કર્યા? અહીં એવાં માં-બાપની વાત છે જેઓ પોતાના બાળકોને માટે ‘સારી’ શાળા પસંદ કરવા સામાજિક અભિયાનો આદરે છે, લાગવગો અને ડોનેશનની તૈયારી રાખે છે અને ...અને તેઓ ‘શિક્ષણ’ એટલે શું તે જાણે પણ છે.
મધ્યમ-ઉચ્ચ મધ્યમવર્ગના આ માં-બાપ એકદમ સ્વાર્થી જણાય છે. બાળકને ભણાવવાનો તેમનો હેતુ પોતાની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરે એવી સફળ કારકિર્દી પોતાનું સંતાન પામે તેવો હોય છે, નહી કે પોતાના, હા , એમના પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય. આવા માં-બાપ બાળકને શાળા ઉપરાંત સંગીત,નૃત્ય,ચિત્ર,નાટક,તરણ,કરાટે જેવી ‘પ્રવૃત્તિઓ’ના વર્ગો ભરવા ‘ખર્ચા’ કરશે, વેકેશનમાં બાળકને ‘ટ્રેકિંગ’ કે ‘નેચર કેમ્પ’માં મોકલશે અને ઓડકાર ખાશે કે પોતે બાળકને વિવધ ક્ષેત્રોની તાલીમ પૂરી પાડી એનો સર્વાંગી વિકાસ થાય તેની કાળજી લીધી છે. બેશક, આ પ્રવૃત્તિઓ સર્વાંગી વિકાસના પાસા છે. પણ, કેટલાં માં-બાપ પોતાના સંતાનોને આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં સહમત થાય છે? કારકિર્દી તો દુર રહી, પોતાના બાળકને કયા ક્ષેત્રમાં રસ છે એ પણ તેઓ ચકાસતા નથી. ‘મારા પપ્પુ-પિન્કીને કોમ્પ્યુટર-આઈ.ટીમાં ખુબ રસ છે એટલે અમે તેને તેમાં પ્રોત્સાહન આપીએ છીએ.’ આ શાહમૃગીયો વિકલ્પ વારંવાર કાને અથડાય છે. બધાને ખબર છે કે આઈ.ટી એ ડોલરિયો શોખ છે ! અને આવા ‘રસ’ ધરાવતાં કેટલા તેજસ્વી તારલઓએ આઈ.ટી.માં ક્રાંતિકારી શોધ કરી?
બે બેડરૂમની સગવડ ધરાવતા આ માં-બાપના ઘરમાં બાળવાર્તાઓનું એક કબાટ સમાતું નથી. મહિને એક-બે વાર રેસ્ટોરાંમાં જમવાનું બજેટ ધરાવતા આ કુટુંબો પાસે બાળવાર્તાઓ ખરીદવાની સગવડ નથી હોતી. હા, કેટલાંક માં-બાપ પુસ્તકો ખરીદે છે, ‘સફળતાના નવ રત્નો’, ‘વૈજ્ઞાનિક રમકડાં બનાવો’, ગણિત ગમ્મત, પંચતંત્રની વાર્તાઓ વગેરે. આવા પુસ્તકોની ખરીદી પાછળ પણ ગણતરી તો ‘મારા સંતાનને કારકિર્દીમાં સફળ થવામાં ઉપયોગી બને’ એવી જ હોય છે. એટલે વાર્તાઓ ઠેબે ચઢે છે. આવા માં-બાપ એ પોતે દસ નવલકથાઓ વાંચી નથી અને પોતાનું સંતાન (ઈતર !)વાંચન રસિક ના બની જાય એની તેઓ પુરેપુરી દરકાર રાખે છે. તેઓને સંતાનની સફળતાની ચિંતા છે, સુખની નહી. અથવા તો તેઓ સફળતાને સુખ માનતા લાગે છે.
આ માં-બાપ ડરે છે, કયાંક મારું સંતાન સ્વતંત્ર ના થઇ જાય ! સ્વતંત્રતા અને સ્વછંદતાની તેમની  વ્યાખ્યાઓ શબ્દકોશ કરતાં જૂદી, સામાજિક દ્રષ્ટિ થકી ઉધાર મેળવેલી છે. તેમને સંતાન કહ્યાગરું જોઈએ છે અને ત્યારે તેમને પેલી સર્જનાત્મકતાની ગેરહાજરી સાલતી નથી.
શિક્ષણ તંત્ર, શાળાઓ અને શિક્ષકો પર દોષારોપણ એ સહેલી છટકબારી છે, બેઠક ખંડમાં ચર્ચાતા મનોરંજક-રસપ્રદ વિષયોમાંનો એક વિષય. ના તો એથી કોઈ ઉકેલ આવવાનો કે ના એ ચર્ચા બંધ થવાની. શાળાઓની તાંત્રિકતા-યાંત્રિકતામાં પોતાનું બાળક પીસાય નહી એવી દરકાર કરનારા માં-બાપ ઘરેલું શિક્ષણ તરફ વળ્યા છે. પણ, તેઓને જે શાળાઓનો અનુભવ છે તે ખાનગી શાળાઓ છે, જેમનો મૂળમંત્ર ‘સફળતા’ છે. આવા નાનકડા વર્ગને બાદ કરતાં મોટા ભાગના શિક્ષિત માં-બાપ પોતાના સંતાનના સ્વાભાવિક પ્રફુલ્લનને રોકવાના ષડયંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
કોઈ પણ તંત્રને પોતાને ટકાવવામાં રસ હોય, અહીં જેમની વાત માંડી છે તે માં-બાપ પણ આવા તાંત્રિક છે.

Sunday, March 18, 2012

પુનરાવર્તનનો રસ


શિક્ષક માટે એ  રસપ્રદ પડકાર છે કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રક્રિયામાં સંડોવવા કઈ રીતે. શૈક્ષણિક પ્રક્રિયાઓ એટલેકે વિધાર્થીઓ પ્રશ્નો પૂછે અને જવાબો શોધવાના વિકલ્પો જાતે શોધે, ચર્ચામાં તાર્કિક રીતે જોડાય અને કોઈ તારણ લાગી પહોંચે, શિક્ષણતંત્રના ભાગ રૂપી યાંત્રિક પ્રક્રિયાઓમાં પણ જોડાય અને સફળતા પ્રાપ્ત કરે અને આવા બીજા કાર્યો.

ઇતિહાસના એકમોના પુનરાવર્તન માટે અમે જુથકાર્ય આદર્યું. દરેક જુથ માટે એક એકમ. ૧૫ મીનીટમાં ૫ નવા પ્રશ્નો બનાવવાના. જુથનેતાએ નહિ પણ જૂથના સભ્યો એ પ્રશ્નો વર્ગ સમક્ષ રજૂ કરવાના, જવાબ સહીત. દરેક પ્રશ્ન માટે એક ગુણ. તમામ રજુઆતો થઇ જાય પછી શિક્ષક એમાંથી જ્ કેટલાક પ્રશ્નો પૂછે અને ચકાસે કે કેટલા જવાબો યાદ રહ્યા.

આ પ્રવૃત્તિ પાછળ વિચાર એ હતો કે પુનરાવર્તનની યાંત્રિક પ્રક્રિયાને રસપ્રદ કઈ રીતે બનાવવી અને વર્ગના તમામ વિધાર્થીઓ, ખાસ કરીને ધીમા વિધાર્થીઓ તેમાં સક્રિયતાથી જોડાય તેવું શું કરવું.

પ્રશ્ન બનાવવો એ જવાબ આપવા કરતાં અઘરી પ્રક્રિયા છે. પ્રશ્ન બનાવનારને જવાબ ઉપરાંત પ્રશ્નનું ભાષાકીય માળખું પણ ધ્યાને રાખવું પડે અને આખો એકમ, લીટીએ લીટી ધ્યાનથી વાંચવી પડે. આ કામ મોટેભાગે જુથ નેતાએ કર્યું. વળી, જુથસભ્યોએ રજૂઆત કરવાની હતી,તેમના જૂથના ગુણ તેમની રજૂઆત પર આધારિત હતાતેથી તેઓ જવાબદારી અનુભવવા લાગ્યા અને પ્રવૃત્તિમાં સક્રિયતાથી જોડાયા. જુથ નેતા પણ જવાબદારી પૂર્વક સભ્યોને તૈયારી કરાવવા લાગ્યા. આમ વર્ગના દરેક વિધાર્થીને તેની આવડત મુજબનું કામ મળ્યું. આ પ્રવૃત્તિમાં પડકાર એ જ્ પ્રેરણા બન્યો.ગુણાંકન તો એક જાતના પ્રોત્સાહન રૂપે જ્ હતું.

પહેલાં દિવસે આમ કર્યા પછી બીજે દિવસે પ્રવૃત્તિમાં થોડો ફેરફાર કર્યો, કહોને કે પડકાર ઉમેર્યો. હવે બધાં જૂથોએ એવાં જ્ પ્રશ્નો બનાવવાના જેમાં 'કોણ' આવતું હોય. શરૂઆતમા વિધાર્થીઓ સ્થળ,ઘટનાઓ અને સમય સંબંધે પણ 'કોણ'વાળા પ્રશ્નો બનાવી આવ્યાં. પછી એ પ્રશ્ન સ્વરૂપની જાહેરમાં અને વ્યક્તિગત ચર્ચા કરી. એમ લાગ્યું કે પ્રશ્ન સ્વરૂપની આ તબક્કે જે સમાજ ઊભી થઇ તે પ્રમાણમાં વધુ સ્થાયી રહેશે. વળી, એક જુથે પ્રશ્-જવાબો મોઢે રજૂ કર્યા. આવી દરેક રજુઆતને અડધો ગુણ વધુ આપવો એમ ઠેરવ્યું. તેને લીધે તે પછીને દિવસે બધાં જ્  જુથ, એટલેકે વર્ગના તમામ વિદ્યાર્થીઓ પ્રશ્ન-જવાબની મોઢે રજૂઆત કરવા પ્રયત્નશીલ થયા અને મોટાભાગના એમાં સફળ પણ થયા.

પ્રશ્નના સ્વરૂપ વિશે સ્પષ્ટતા કેળવાયા પછી એમ નક્કી કર્યું કે ભૂલવાળા પ્રશ્ન માટે અડધો ગુણ કાપવો. એ રીતે કેટલાકના ગુણ કપાયા પણ ખરા. પારુલનું જુથમા આજે  વધુ પડતાં ધીમા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધી ગયેલું. એ સંજોગોમાં પણ એ જુથે પોતાની રજૂઆત તો કરી જ્. વર્ગના અન્ય વિધાર્થીઓએ પ્રસ્તાવ કર્યો કે પારુલના જૂથના કોઈ ગુણ કાપવા નહિ. ગુણ તો ના જ્ કાપ્યા, જૂથને તાળીઓ અને એક વિશેષ ગુણ આપીને વધાવવામાં આવ્યું.

અહીં પડકાર હતો, સ્પર્ધા નહિ. કેમકે નાના જૂથમાં ભલે કામ કરીએ, આપણે એક સમૂહના જ્ સભ્યો છીએ એ સમજ વર્ગની ચેતનાનો હિસ્સો બની ગયેલ છે.

Friday, December 16, 2011

સફેદ જુઠ

ગઈકાલે ધોરણ ૫ની જિગીષા એના વર્ગશિક્ષક પાસે રજા લેવા ગઈ. કારણમાં એણે કહ્યું કે એના મમ્મી-પપ્પાની લગ્ન એનીવર્સરી ઉજવવાની છે એટલે. નીરુબેને રજા તો આપી, પણ એમને નવાઈ લાગી એનીવર્સરી ઉજવણીની વાતની. આપણે જાણીએ જ છીએ કે જ્યાં લગ્ન સાત સાત જન્મોનું જોડાણ મનાતું હોય ત્યાં કઈ એનીવર્સરીઓ ના ઉજવાય. અને એમાંય જે પરિવેશમાંથી અમારા વિદ્યાર્થીઓ આવે છે ,આ વિચાર જ ના હોય કોઈ ના મનમાં. એટલે આજે જિગીષા આવી ત્યારે નીરુબેને એને વિગતો પૂછી. એણે જણાવ્યું કે તેઓ આખો પરિવાર સ્પેશિઅલ રિક્ષા કરી ફિલ્મ જોવા ગયા હતા. આણંદ લક્ષ્મી ટોકીઝમાં ૩ થી ૬ના શોમાં  'બોડી ગાર્ડ' ફિલ્મ જોઈ , મેંગો જ્યુસ પીધો,ખમણ ખાધા અને પછી ઘેર આવ્યા. પપ્પાએ મમ્મીને સોનાનું મંગલસુત્ર આપ્યું અને મમ્મીએ પપ્પાને ઘડિયાળ આપી.
સોનાનું મંગલસુત્ર અને ૩ થી ૬નો ફિલ્મ શો. સ્પષ્ટ હતું કે આ દીકરી જુઠું બોલી રહી હતી.
કેમ?
એને રજા જોઈતી હતી એતો સ્પષ્ટ કારણ. પણ એનીવર્સરીની વાર્તા ઘડી કાઢવાનું કારણ શું હોઈ શકે?.
કદાચ એણે કોઈ ફિલ્મ કે સિરીઅલમાં આવી વાતો જોઈ-સાંભળી હશે. એના મનમાં આવી ઉજવણીની ઈચ્છાઓ પનપી હશે.વાસ્તવિક જીવનમાં તો એ શક્ય નથી. એણે કલ્પનાઓના રંગ પૂરીને મમ્મી-પપ્પાના પ્રેમનું આ સ્વરૂપ અને ભાઈ-બહેનો સાથે આનંદનો એક કાલ્પનિક વિકલ્પ ઘડી કાઢ્યો હશે.

આ કલ્પનાને જુઠ કેમ કહેવી?
આ સફેદ જુઠની શુભ્રતા કોઈ સત્ય કરતાં ઓછી ખરી?
એ દીકરીને જુઠ્ઠી ગણી એના આનંદને શા માટે પીંખવો !

શું કહો છો?


Monday, December 12, 2011

ગોખેલે બેઠો છે ગોખેલો

વિજ્ઞાનમેળા, નિબંધ સ્પર્ધા,વક્તૃત્વ હરિફાઈ અને નાટકો  જેવી પ્રવૃત્તિઓ વખતે સ્મૃતિનો જયજયકાર થતો જોવા મળે છે. જે વિદ્યાર્થી સડસડાટ અને કડકડાટ બોલી જાય એની વાહ વાહ થાય, એને આર્થિક,સામજિક લાભ થાય અને એવા વિદ્યાર્થીને 'શાળાનું નામ રોશન કરનાર તારક' ની ઉપાધિ(ધી) અપાય. છોગામાં ગણમાન્ય મહેમાનો પણ તેને બિરદાવે છે. આ માહોલ એક સંદેશો વહેતો કરે, સફળતા એટલે આ-બાહરી વાહવાહી
આવા કડકડતા વિદ્યાર્થીઓ સ્મૃતિનો ભાર વેંઢારતા વાહનો બની જાય છે. પોતે જે રજુ કરે છે એનો અર્થ એને ખબર નથી હોતી. આવી અભાનાવસ્થા માટે એને શાબાશી મળી રહી છે. આ વિદ્યાર્થી અને અન સખાઓ શું શીખી રહ્યા છે?- કે આ દુનિયામાં આવી સંતાકુકડી કરનાર જ સફળ છે, કે સમજણ કરતાં ગોખણ (એ પાછું જ્ઞાન પણ નથી હોતું, હોય છે ફક્ત સ્મૃતિ .) વધુ મહત્વનું છે.
આવા ગોખણીયા ગોટલા અંગે આપનું શું માનવું છે? (મહેરબાની કરીને ગોખેલો ઉત્તર ના આપશો.)