Wednesday, July 25, 2012

ધૂમકેતુ

કાળને અતિક્રમી શકવાની લખાણની ત્રેવડ લેખકની આવડતને પ્રતિબિંબિત કરે છે. ધૂમકેતુની  ‘જુમો ભિસ્તી’ ભણાવતાં અને ધોરણ ૪ના બાળકોમાં  ‘બીકણ સસલી’ પ્રેમને જોઈ એ પ્રતિબિંબ ચિત્તમાં પડઘાયું.
જુમો ભિસ્તી : એક એક વિધાન ભાષાને સાહિત્યની ઊંચાઈ આપે. પાડાનું ‘નમણું’ નામ પાડનાર ‘સાહિત્યપ્રેમી’ની જેમ! જુમો જયારે ‘મારો વે...’ એમ અધૂરું છોડે ત્યારે જુમાનું વેણુ સાથેનું જોડાણ, અન્ય વ્યક્તિઓની ની:સ્પૃહ્યતા અને એ અંગે જુમાની સમજ એમ બધું વ્યક્ત થઇ જાય. “શાંતિ એવી જ જળવાઈ રહી” એમ લખીને લેખક છેલ્લા ફકરામાં જુમાને ‘અશાંત’ પણ લેખે.
શિક્ષક તરીકે જે પડકાર તે એ કે આવી કૃતિનો પોતાના ચિત્તમાં જે પડઘો પડે એની ગુંજ વિદ્યાર્થીઓના ચિત્તમાં ગાજતી કરવી. આદર્શ પઠન સંવેદનોને પહોંચાડવા ઉપયોગી; ભાષાની બારીકાઈઓ ખોલવા ભાષા પ્રવૃત્તિઓ કામ લાગે. આવા પ્રશ્નો પૂછ્યા :
 -પાડાનું નામ કોણે પડ્યું હતું? તે કોણ હતો?(હિંદુ સાહિત્યરસિક મિત્ર)
-સાહિત્યરસિક, કલારસિક ...જેવા શબ્દોની યાદી બનાવીએ.
-અહીં લેખકે મિત્ર આગળ ‘હિંદુ’ વિશેષણ કેમ મુક્યું? એ ના મુક્યું હોત તો ના ચાલત?
-કયા વિધાન આધારે જુમાનો ધર્મ નક્કી કરી શકાય? જુમાના ધર્મ અંગે બીજે ક્યાય નિર્દેશ છે?
-કયા કયા વિધાનો પરથી જુમાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે?
-‘રંગ જોવાં’,’તડકો છાયડો’...આ શબ્દ જુથોને ના બદલે બીજા શબ્દો મૂકી વાક્ય બનાવો અને બોલો. કયું વાક્ય તમને વધુ ગમ્યું?કેમ?
-પહેલી પાંચ લીટીઓ વાંચો. એને ધ્યાને રાખી તમારા ગામ,ફળિયા અને ઘરનું ખુબ ટૂંકમાં વર્ણન લખો.
- સિગન્લ વાળાને ત્યાં બુમ પડતી વખતે જુમો ‘ઓ ભાઈ બહેન’ એમ કેમ બોલે છે? માત્ર ભાઈ કે બહેન કેમ નહી?
-“માણસનું છૈયું ય દેખાતું ન હતું.” આ વાક્ય વડે લેખક શું સૂચવવા માંગે છે?
બીકણ સસલી :
આ એકમની ભાષાની ઊંચાઈ અને ગિજુભાઈની સુક્ષ્મ દ્રષ્ટિ માટે માન થઇ આવે. ટૂંકા પદ્ય વાક્યો, અંત્યાનુપ્રાસ, લિંગ પરિવર્તન, જોડાક્ષરો, કાવ્યમય ફકરાનું પુનરાવર્તન, નવા શબ્દોનો પરિચય મૂકી દેવાની સિફત અને સૌથી ઉચ્ચ તો રસ જાળવી રાખવો !

Wednesday, July 4, 2012

ચિનગારીના તણખા

ધોરણ-૮, કાવ્ય પહેલું, એક જ દે ચિનગારી, પહેલાં ગાન વખતે કોઈ ને ના ગમ્યું! ‘રોદણા જેવું છે’, એમ સામુહિક અભિપ્રાય આવ્યો. પણ, મકરંદ દવેનું ધૂળિયે મારગ તરત ગમ્યું.
કેમ એમ?
ચિનગારીનું અર્થગ્રહણ સહજ-સરળ નથી. એમાં જે તણખાની વાત છે તે તણખાનો પરિચય તો છે પણ તે પ્રત્યક્ષ નથી. જયારે ધૂળિયા મારગની ઉપરવાળી બેંક પહોંચમાં લાગે છે અને રમુજ પમાડે છે. જો કે, બીજા ત્રીજા ગાન પછી, પરિચય વધવાને કારણે ચિનગારી ના તણખા રિસેશમાં ફૂટતા સંભળાયા.
ચિનગારીની ચર્ચા આમ શરુ થઇ :
આ ભટ્ટ કાકાને શું જોઈએ છે?
ચિનગારી
એટલે?
તણખો.
તે એટલા માટે આવડું બધું કાવ્ય શું કામ લલકાર્યું? દિવાસળીનું એક બાકસ ના ખરીદી લે !
ઓ બેન, એવો તણખો નઈ, આ તણખો જુદો છે?
એમ, કયો તણખો છે, બતાવો તો જરી?
એ કે’તા નથી આવડતું પણ આ તણખો દિવાસળી વાળો નથી.
વારું, આ ભાઈએ લોઢું ઘસવામાં સારી જિંદગી શું કામ બગાડી હશે?!
અરે, એમ નઈ, સારી એટલે આખી જિંદગી.
એમ?! સારું. તો પણ લોઢું ઘસવામાં શું કામ? .... પાછી એમની સઘડી નથી સળગતી, તે કેરોસીન નાખે,પેટ્રોલ રેડે, આમ કાવ્ય...? ... સુરજ અને ચાંદો સળગે કદી? શું આ હરીહરદાદા વાત કરતાં હશે?
હવે આ બેનને શું કહેવું?!...કામ કરવામાં જિંદગી ખર્ચી એમ કહે છે. સુરજ તો
...શિક્ષક ભોટ જેવાં પણ વિધાર્થીઓ ચકોર છે. એમની ચિનગારી પેટાયેલી છે.