Saturday, May 5, 2012

સત્રાંત


પરિણામપત્રમાં શિક્ષકે વાલીને આપવાના સુચન વાળું ખાનું આમ ભરાયું : આપણી વ્હાલીની પ્રગતિના પ્રયત્નોની સફળતાના અભિનંદન !

Friday, April 27, 2012

તાંત્રિક માં-બાપ

શિક્ષણ તંત્ર અને શાળાઓ બાળકોને સમજવામાં, ‘સાચું’ શિક્ષણ આપવામાં, બાળકોની સર્જનાત્મકતાને પોષવામાં નિષ્ફળ ગયાં છે એમ અવારનવાર જાહેર કરવામાં આવે છે. સરકારી શાળામાં શિક્ષક તરીકેના વ્યવસાયિક અનુભવ થકી અને સમાજના એક સભ્ય તરીકે મારું એક મંતવ્ય ઘડાયું છે અને તે છે કે બાળક સંબંધી ઉપરોક્ત ભૂલોની દોષગ્રંથિથી પોતાને બચાવવા માં-બાપ અને સમાજ આ રાગ આલાપ્યા કરે છે. હકીકતે, બાળ ઉછેરમાં માં-બાપ નિષ્ફળ પુરવાર થયા છે.
માં-બાપ પર આ ‘આરોપ’ મૂકી શિક્ષણ તંત્ર કે શાળાઓની ભૂલો છાવરવાનો અહીં ઈરાદો નથી. એ આગવી સમસ્યા છે જે પણ ઉકેલવી રહી. પણ, તંત્ર કે શાળા પહેલાં બાળક માં-બાપ પાસે છે, તો બહારની સંસ્થાઓ ઉપર દોષારોપણ કરનારાઓએ પોતે કયા ઉપાયો અમલમાં મુક્યા? પોતાના બાળકના પ્રફુલ્લન માટે તેમણે પોતાની કક્ષાએ કયા પ્રયત્નો કર્યા? અહીં એવાં માં-બાપની વાત છે જેઓ પોતાના બાળકોને માટે ‘સારી’ શાળા પસંદ કરવા સામાજિક અભિયાનો આદરે છે, લાગવગો અને ડોનેશનની તૈયારી રાખે છે અને ...અને તેઓ ‘શિક્ષણ’ એટલે શું તે જાણે પણ છે.
મધ્યમ-ઉચ્ચ મધ્યમવર્ગના આ માં-બાપ એકદમ સ્વાર્થી જણાય છે. બાળકને ભણાવવાનો તેમનો હેતુ પોતાની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરે એવી સફળ કારકિર્દી પોતાનું સંતાન પામે તેવો હોય છે, નહી કે પોતાના, હા , એમના પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય. આવા માં-બાપ બાળકને શાળા ઉપરાંત સંગીત,નૃત્ય,ચિત્ર,નાટક,તરણ,કરાટે જેવી ‘પ્રવૃત્તિઓ’ના વર્ગો ભરવા ‘ખર્ચા’ કરશે, વેકેશનમાં બાળકને ‘ટ્રેકિંગ’ કે ‘નેચર કેમ્પ’માં મોકલશે અને ઓડકાર ખાશે કે પોતે બાળકને વિવધ ક્ષેત્રોની તાલીમ પૂરી પાડી એનો સર્વાંગી વિકાસ થાય તેની કાળજી લીધી છે. બેશક, આ પ્રવૃત્તિઓ સર્વાંગી વિકાસના પાસા છે. પણ, કેટલાં માં-બાપ પોતાના સંતાનોને આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં સહમત થાય છે? કારકિર્દી તો દુર રહી, પોતાના બાળકને કયા ક્ષેત્રમાં રસ છે એ પણ તેઓ ચકાસતા નથી. ‘મારા પપ્પુ-પિન્કીને કોમ્પ્યુટર-આઈ.ટીમાં ખુબ રસ છે એટલે અમે તેને તેમાં પ્રોત્સાહન આપીએ છીએ.’ આ શાહમૃગીયો વિકલ્પ વારંવાર કાને અથડાય છે. બધાને ખબર છે કે આઈ.ટી એ ડોલરિયો શોખ છે ! અને આવા ‘રસ’ ધરાવતાં કેટલા તેજસ્વી તારલઓએ આઈ.ટી.માં ક્રાંતિકારી શોધ કરી?
બે બેડરૂમની સગવડ ધરાવતા આ માં-બાપના ઘરમાં બાળવાર્તાઓનું એક કબાટ સમાતું નથી. મહિને એક-બે વાર રેસ્ટોરાંમાં જમવાનું બજેટ ધરાવતા આ કુટુંબો પાસે બાળવાર્તાઓ ખરીદવાની સગવડ નથી હોતી. હા, કેટલાંક માં-બાપ પુસ્તકો ખરીદે છે, ‘સફળતાના નવ રત્નો’, ‘વૈજ્ઞાનિક રમકડાં બનાવો’, ગણિત ગમ્મત, પંચતંત્રની વાર્તાઓ વગેરે. આવા પુસ્તકોની ખરીદી પાછળ પણ ગણતરી તો ‘મારા સંતાનને કારકિર્દીમાં સફળ થવામાં ઉપયોગી બને’ એવી જ હોય છે. એટલે વાર્તાઓ ઠેબે ચઢે છે. આવા માં-બાપ એ પોતે દસ નવલકથાઓ વાંચી નથી અને પોતાનું સંતાન (ઈતર !)વાંચન રસિક ના બની જાય એની તેઓ પુરેપુરી દરકાર રાખે છે. તેઓને સંતાનની સફળતાની ચિંતા છે, સુખની નહી. અથવા તો તેઓ સફળતાને સુખ માનતા લાગે છે.
આ માં-બાપ ડરે છે, કયાંક મારું સંતાન સ્વતંત્ર ના થઇ જાય ! સ્વતંત્રતા અને સ્વછંદતાની તેમની  વ્યાખ્યાઓ શબ્દકોશ કરતાં જૂદી, સામાજિક દ્રષ્ટિ થકી ઉધાર મેળવેલી છે. તેમને સંતાન કહ્યાગરું જોઈએ છે અને ત્યારે તેમને પેલી સર્જનાત્મકતાની ગેરહાજરી સાલતી નથી.
શિક્ષણ તંત્ર, શાળાઓ અને શિક્ષકો પર દોષારોપણ એ સહેલી છટકબારી છે, બેઠક ખંડમાં ચર્ચાતા મનોરંજક-રસપ્રદ વિષયોમાંનો એક વિષય. ના તો એથી કોઈ ઉકેલ આવવાનો કે ના એ ચર્ચા બંધ થવાની. શાળાઓની તાંત્રિકતા-યાંત્રિકતામાં પોતાનું બાળક પીસાય નહી એવી દરકાર કરનારા માં-બાપ ઘરેલું શિક્ષણ તરફ વળ્યા છે. પણ, તેઓને જે શાળાઓનો અનુભવ છે તે ખાનગી શાળાઓ છે, જેમનો મૂળમંત્ર ‘સફળતા’ છે. આવા નાનકડા વર્ગને બાદ કરતાં મોટા ભાગના શિક્ષિત માં-બાપ પોતાના સંતાનના સ્વાભાવિક પ્રફુલ્લનને રોકવાના ષડયંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
કોઈ પણ તંત્રને પોતાને ટકાવવામાં રસ હોય, અહીં જેમની વાત માંડી છે તે માં-બાપ પણ આવા તાંત્રિક છે.

Wednesday, March 28, 2012

દિયા


દિયા અમારી શાળામાં ત્રણ વર્ષ પહેલાં પ્રવેશી અને પ્રવેશતાં જ્ શાળા પરિવારની લાડકી થઇ ગઈ. તે તેજસ્વી વિધાર્થી છે, તેની ચકોર આંખોની ચમક અમારા સૌના આનંદનું માધ્યમ બની રહી. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ તે એટલી જ્ સક્રિય.

મોટા વિધાર્થીનીઓ પણ તેની બહેનપણીઓ. ધોરણ ૭મા છેલ્લા તાસમાં કઈ નવું સંભળાય એટલે તે શીખવા પહોંચી જાય. તેનામાં શીખવાની ખુબ ધગશ છે. જો તેને રજા પડે તો વર્ગશિક્ષકની પાછળ પડીને પુનરાવર્તન કરાવડાવે. તે માયાળું છે અને બધાં જોડે ભળે છે પણ તેને જુથનેતા બનવું નથી ગમતું. તેને વાર્તા પુસ્તકો વાંચવા ય ખુબ ગમે છે.

આ વર્ષે તેનામાં એક પરીવર્તન આવ્યું છે.

દિયાને એક બહેન છે, હીના. તે આ વર્ષે પહેલાં ધોરણમાં દાખલ થઈ. બસ, ત્યારથી દિયા ઠરેલ થઇ ગઈ છે. તેનું આ ઠરેલપણું તેના ચહેરા પર અને વર્તનમાં પ્રગટે છે.

આજે, ધોરણ ૫,૬,૭ના ચુનિંદા વિધાર્થીઓ સાથે લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે વિધાનગર જવા વિદ્યાર્થીઓ વાનમાં ગોઠવાઈ રહ્યા હતાં ત્યાં દિયા ધસી આવી ; ‘ મને લઇ જાવને! મારે જોવું છે.’

પણ આ તો ૫-૬-૭ માટે જ્ છે, તુ પાંચમામાં આવીશ ત્યારે તારે જવાનું થશે જ્.

ના પણ આજે લઇ જાવ ને. મને જોવાનું ગમે છે.

આ મુલાકાત માટે વિજ્ઞાનની પ્રાથમિક સમજ હોય તો શૈક્ષણિક રીતે સારું પડે. પણ, શિક્ષક સમજતા હતા કે દિયા જેવા વિદ્યાર્થીઓ માટે આવી મુલાકાતો કેટલી અસરકારક બની શકે. વાનમાં જગ્યા ન હતી. શિક્ષકે વાનમાના વિધાર્થીઓને પૂછ્યું, ‘દિયાની જગ્યા થશે?’

અરે, ખોળામાં બેસાડી લઈશું.

‘સારિકાને ય આવવું છે.’ દિયાએ તેની બેનપણીની વકીલાત કરી.

ભલે,મોટાબેનની અને તમારા બેનની રજા લઇ આવો.

બંને કમળાબેન(આચાર્ય) સમક્ષ ગઈ પણ કઈ બોલી ના શકી. આવી બાબતમાં તો કમળાબેનની સંમતી હોય જ્.

અચાનક દિયા કહે, ‘ના, હું નહિ આવું. મારી બેનનું જોવું પડે.’

અરે પણ આપણે પાંચ વાગતામાં તો પાછા આવી જ્ જઈએ છીએ.

સારિકા આવી, દિયા ના આવી.

Monday, March 26, 2012

ભોગોલિક પ્રવૃત્તિ


આ પ્રવૃત્તિ પ્રથમ સત્રની, ભૂગોળના બીજા જ્ એકમ(ધો-૭,પાઠ-૧૫)ની છે. પણ, તે સમયે શિક્ષકને લાગ્યું કે હજી આ પ્રવૃત્તિ કરવાનો સમય ‘પાક્યો’ નથી.


ભૂગોળ એટલે અંકગણિત,ભૂમિતિ અને વિજ્ઞાનનું શરબત. તેની સંકલ્પનોની ગૂંથણીને વારંવાર જુદી જુદી રીતે જોવી પડે.


 અમે આ એકમ પરંપરાગત રીતે ભણ્યા : વ્યાખ્યાઓ સમજી, પારિભાષિક શબ્દોની સંધિ છૂટી પાડી તેમને ઉકેલ્યા, આકૃતિઓ દોરી, પ્રશ્નો પૂછ્યા ને જવાબો લખ્યા. માહિતી માટે અને પરીક્ષા માટે તે ઉપયોગી છે. પણ,કોઈ સમાચાર કે કોઈ દૈનિક ઘટનાને સંદર્ભે ભૂગોળની પાયાની સંકલ્પનાઓ અવારનવાર અને વારંવાર ચર્ચાતી રહી. એક દિવસ શાળાના મેદાનમાં હળવું વંટોળ ઉઠ્યું અને ધૂળની ડમરી ચકરી ફરવા લાગી,કે  સમાચાર વંચાયા કે બે દિવસ પછી વધુ ઠંડી પડશે કે પછી તાજેતરમાં રાજસ્થાનમાં હવાના દબાણમાં થયેલા ફેરફારને કારણે ગુજરાત પર ધુળી ચાદર છવાઈ...અમારે કેમ-કેવીરીતે તેની ભૌગોલિક ચર્ચાઓ થાય. અમે ભૂમિતિની પાયાની સંકલ્પનાઓ અંગેના કેટલાક વીડીઓ પણ જોયા.


આજે અમે આ મુજબ પ્રવૃત્તિ કરી.


પૃથ્વીનો ગોળો, પાણી ભરવાનો નળો અને દોરી વડે.


વર્ગખંડમાં દિશાઓ નક્કી કરી.નળાને બનાવ્યો સુર્ય. પૃથ્વીના ગોળાને સુર્યની ઉત્તરે ગોઠવ્યો, ધરી ઉત્તર તરફ નમેલી રહે ત રીતે. જાણવા પ્રયત્ન કર્યો- કયો ધ્રુવ સુર્યની નજીક છે, ઉત્તર કે દક્ષિણ? પહેલાં નરી આંકે અને પછી દોરી વડે અંતર માપી-સરખાવીને.


હવે, પૃથ્વીના ગોળાને ૯૦અંશ ખસેડી સુર્યની દક્ષિણે ગોઠવો, ધરી ઉત્તર તરફ જ્ નમેલી. ચકાસ્યું, કયો ધ્રુવ નજીક? નરી આખે નક્કી કરવામાં મુશ્કેલી પડી. અગાઉની જેમ જ્ દોરી વડે બંને ધ્રુવોનું સૂર્યથી અંતર માપ્યું અને સરખાવ્યું.


ફરી ૯૦અંશની ફુદરડી અને પૃથ્વી પ્રતિકૃતિ ગોઠવાઈ સુર્યની દક્ષિણે. ફરી માપન,સરખામણી.


એ જ્ રીતે પૂર્વમાં ગોઠવીને.


આ પ્રવૃત્તિને પાઠ્યપુસ્તકની આકૃતિ સાથે સરખાવીને જવાબો આપવા કહ્યું : પૃથ્વીગોળો ઉત્તર/પશ્ચિમ/દક્ષિણ/પૂર્વમાં હતો ત્યારે કઈ તારીખ? થોડીક ગડમથલ પછી વિદ્યાર્થીઓએ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા.


વિધાર્થીઓના સાચા જવાબો એ આ પ્રવૃત્તિની સફળતાનો માપદંડ નથી. આ જવાબો તો વિધાર્થીઓ સ્વાધ્યાયપોથીમાં અને ઉત્તરવહીમાં લખી ચૂકયા જ્ છે. આવી પ્રવૃત્તિઓ કરાવવી કેમ જરૂરી છે તે તો આ પ્રવૃત્તિ પછીના પ્રશ્નો પરથી તારવી શકાય : પૃથ્વી નમેલી ના હોય તો શું થાય? વિડીઓ જોયાં એમાં તો પૃથ્વી નમેલી જણાતી નથી તો આટલી ચોક્કસ રીતે કેમ કહી શકાય કે પૃથ્વી નમેલી છે? આપણને પૃથ્વીની ગતિનો અનુભવ કેમ નથી થતો? પૃથ્વી ક્યાં રહેલી છે? પૃથ્વી ગોળ છે તો આપણે પડી કેમ નથી જતા? પૃથ્વી તો સપાટ દેખાય છે, તો ગોળ ...? આપણે ક્યાં રહીએ છીએ, ગોળાની અંદર કે સપાટી પર?


આમાથી કેટલાક પ્રશ્નો વારંવાર પુછાતા રહે છે. તે પ્રશ્નો વારંવાર પૂછાય છે તેનો અર્થ એ કે જે-તે સંકલ્પના વધુ સપષ્ટ કરવાની જરૂર છે, અને તે પણ નવી રીતે. તો આવા પ્રશ્નોનું તો સ્વાગત જ્ હોય ને!

વખાણવી ગમે તેવી ખીચડી


 ધોરણ ૩ની જયશ્રીએ આજે વધાઈ ખાધી : બેન, મને ખીચડી બનાવતાં આવડી ગઈ!


વીણાબેને તેના ઉમળકાને વધાવતા કહ્યું, ‘ સરસ ! કેવી રીતે બનાવી?’


તેલ મુક્યું, જીરું નાખ્યું, લસણ નાખ્યું , પછી ખીચડી નાખી.


અચ્છા. પછી?


બસ. એટલું.


પાણી ના નાખ્યું?


ના.


પાણી વગર ખીચડી થઇ? કેવી રીતે?


આટલું જ્. થઇ ગઈ.


મૂંઝાવાનો વારો વીણાબેનનો હતો. બીજા કેટલાક પ્રશ્નોના જવાબોને અંતે જયશ્રી બોલી, ‘ પણ બેન, ધોળી ખીચડી તો બનાવેલી હતી. એમાંથી પીળી મેં બનાવી.!’

Friday, March 23, 2012

ભૂગોળનું ગણિતવિજ્ઞાન


આ પ્રયોગ અમે ૨૨ ડીસેમ્બર’ ૧૧ એ શરુ કર્યો હતો, બપોરે ૧ વાગ્યે.

સૌ પહેલાં અમે અમારા બધાના પડછાયા માપ્યા. પછી એક લાકડીનો પડછાયો માપ્યો. શિક્ષકે જણાવ્યું કે હવે દર ૧૫ દિવસે આપણે આ લાકડીનો પડછાયો માપવાનો છે અને સાથે પ્રશ્ન મુક્યો – આ લાકડીનો જ્ કેમ, કોઈ માણસનો કેમ નહિ તે વિચારો.
ચાલુ વર્ગે કેટલીક મિનીટો માટે મેદાનમાં જવું કયા બાળકને ના ગમે ! એટલે પ્રયોગ સામે તો કોઈને વાંધો ન હતો. પણ, આ પ્રયોગ કરવાથી શું થશે તેવું પરિણામ તાત્કાલિક નજર સામે ના દેખાતા તેમના ચિત્તમાં ખળભળાટ થતો હતો. વળી, પહેલાં બે-ત્રણ માપન દરમ્યાન તો પડછાયાના માપમા કોઈ નોંધપાત્ર ફેરફાર ના દેખાયો એટલે કેટલાક તો અકળાયા પણ ખરા, ‘ તમને આવા નકામા પ્રયોગો સુઝે છે !’. જો કે, શિક્ષક પપ્રત્યેની મુલ્ય આધારિત શ્રદ્ધાને કારણે અને મેદાનમા આવવા મળે તે કારણે પ્રયોગ તો જારી રહ્યો.
દર પંદર દિવસે અમે બપોરના એક વાગ્યે પડછાયો માપતા રહ્યા અને તે માપ નોંધાતા રહ્યા.
જાન્યુઆરીના અંત દરમ્યાનથી પડછાયાની લંબાઈમાં નોંધપાત્ર ફેર પડ્યો હતો. તેને કારણે સૌને વિસ્મય થયું-આવું કેમ, કઈ રીતે? હજી જવાબ આપવાનો સમય પાક્યો નહોતો.

આખરે આવી ૨૧ માર્ચ.

લાકડીના પડછાયાની ટૂંકાઈ જોઈ બધા ઉદગારોમા સરી પડ્યા. એ પછી તો અમે અમારા ગામના અક્ષાંશ પણ માપ્યા,એ પડછાયાની મદદથી જસ્તો .
એ પછી પાઠ્યપુસ્તકમા ભૂગોળના એકમ (ધોરણ ૭, એકમ-૧૫,૧૬) વાંચ્યા ! અમારા જવાબો એમાં હતા.

Tuesday, March 20, 2012

અરમાન ટેસ્ટ

કેટલાક ઘરેલું/સામાજિક કારણોથી બાળકોમાં દવા,દાક્તર,દવાખાનાનો ડર પેસીને ઘર કરી ગયો હોય છે. એમાંય ઇન્જેક્શન! તૌબા તૌબા.

'અરમાન ' કાર્યક્રમ અંતર્ગત  પ્રાર્થના સંમેલન સમેટાવાના ટાણે પી.એચ.સી.એથી દક્તારનું કહેણ આવ્યું કે 'hb ટેસ્ટ કરવાનો છે' અને સંમેલનમાં ઉન્હ્કારા શરુ થઇ ગયા. શિક્ષક પર પ્રશ્નોની ઝડી : દવાખાને જવાનું છે? કયા વર્ગે? કેમ? ઇન્જેક્શન મૂકશે? શાનો ટેસ્ટ? hb એટલે શું?

છેલ્લા બે પ્રશ્નો તો શૈક્ષણિક હતા પણ શિક્ષકે બડા પ્રશ્નોનો એક જ્ ઉત્તર આપવાનું યોગ્ય માન્યું : વર્ગમાં જઈને  વાત કરીએ.
વર્ગમાં પેસતાંજ્ ભાવુંક્તામાં ડૂબેલા એ જ્ પ્રશ્નો.
શિક્ષક : તમારા બધાં પ્રશ્નોના જવાબ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં છે.પાન નં ...(જેના પર રક્તકણ-શ્વેતકણની આકૃતિ - વિગતો અને હિમોગ્લોબીન અંગે માહિતી હતી.) ખોલો અને વાંચો. 
થોડા કંટાળા, થોડી ચીઢ અને થોડાક કુતુહલ સાથે પુસ્તક ખોલ્યું અને વાંચ્યું.
આમાં કોઈ જવાબ નથી.
છે, જુઓ,શોધો.
એટલે લોહી ટેસ્ટ કરવા દવાખાને જવાનું છે? (થોડાક ઉંહકારા,સીસકારા ઉઠયા .)
હા અને ના.
નથી જવાનું?
જવાનું તો છે. પણ hb ટેસ્ટ માટે.
hb એટલે?
જુઓ પુસ્તકમાં ! (પુસ્તકમાં hb એમ લખેલું નથી એ વાત શિક્ષક જાણતા હતાં .)
થોડી હા-ના પછી જીગીષાએ પકડ્યું- hb એટલે હિમોગ્લોબીન?
એકદમ.
હહ્, કેવી રીતે?
મોટેથી બોલીને ચકાસો કે હિમોગ્લોબીન અને hb બોલવામાં શું સરખું બોલાય છે.
અચ્છા, એમ. સારું પણ hb તપાસવા ટાંકણી ઘોંચે ને? 
શિક્ષક :પણ, hb શું કામ તપાસવાનું?
એતો માંદા છે કે નહિ એ જાણવા .
બરાબર. પણ, આપણને આપણું hb શા માટે ખબર હોવી જોઈએ?
તમે કહો.
પુસ્તકમાં જુઓ, હિમોગ્લોબીન શું કામ કરે?
ઓક્સિજન શોષવામાં મદદ કરે.
બરાબર. ઓક્સિજન વગર તો ચાલે ને માણસને !
કેવી ગાંડા જેવી વાત કરો છો. ઓક્સિજન વગર તો માણસ મરી ના જાય ?
તો સમજાય છે હિમોગ્લોબીનનું મહત્વ?
....
hb ના પ્રમાણની આપણી તંદુરસ્તી પર ખુબ બધી અસરો છે. લોહી ચોખ્ખું તો આપણે સ્વસ્થ અને સાજા.
હા, એ તો ભણ્યા છીએ હવે.
તો બોલો, કોણ આવશે hb ટેસ્ટ કરાવવા દવાખાને?
પણ ટાંકણી ?
એનો ય રસ્તો બતાવું, તમને રસ હોય તો.
બતાવો,બતાવો.

જયારે ટેકનીશીયન ટાંકણી મારે ત્યારે બરાબર આંગળી સામે જોઈ રહેવાનું.
દેકારો થઇ ગયો- હોતું હોય. બધાં એમ શીખવે કે ઇન્જેક્શન મુકાતું હોય ત્યારે બીજી દિશામાં જોવાનું અને તમે કહો કે એ જ્ જગ્યાએ જોવાનું.
હા, નહિ જોવું એક રસ્તો છે અને જોવું બીજો રસ્તો. અને તમને રસ હોય તો...
સારું,સારું, પૂરી વાત કરો.(આવું કેટલાક એ  કહ્યું.)
તો, ટાંકણી ક્યાં વાગે છે,આંગળીને ત્યારે શું થાય છે, લોહી ગરમ છે કે ઠડું લાગે છે, કેટલું લોહી બહાર નીકળે છે એમ બધું જોવાનું ...
કિંજલ : હા, અને આવું જોવાં રહીએ એમાં ખોવાઈ જઈએ તો ટાંકણી વાગ્યાની બીક જ્ ખબર ના પડે.

એકદમ ! તો, જઈએ  કે દવાખાને?

 શિક્ષકે કોઈને ફરજ ના પાડી. વારેઘડીએ એમ કહેવું ચાલુ રાખ્યું કે તમને આ ટેસ્ટની અગત્યતા લાગતી હોય તો આવો.સાનિયા એન્ડ સાનિયા ના આવ્યાં. દવાખાને 'ઓ બેન !' એવાં બે-ત્રણ દ્રશ્યો તો રચાયા જ્.  ક્રિષ્ના તો સ્ટુલ પર બેસી પણ એટલી ઠંડી પડી ગઈ અને ક્ષણિક ચક્કર પણ આવી ગયા કે એનો ટેસ્ટ મુલતવી રાખ્યો. જેમ જેમ ટેસ્ટ કરતાં ગયા અને ટેકનીશીયન બેન આંકડા બોલતા ગયા, વિધાર્થીઓના હાયકારા શરુ થયા પણ જુદાં પ્રકારના. પોતાનું hb  ઓછુ છે અને એટલેકે પોતે શારીરિક સ્વસ્થ નથી એ બાબતે ચિંતા ઉમેરાયા એ અવાજોમા.

અસ્મીન અને સાનિયા પેલી બે સાનીયાઓને કોઈક રીતે દવાખાને લઇ આવ્યાં અને તેમનું hb પણ મપાયું.